Heaven Designs

Surya Shakti Kisan Yojna – SKY yojana – Gujarat

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
23JUN 2018

● વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમ

● સ્કાય ખોલશે કિસાન સમૃધ્ધિના નવા દ્વારઃ- નાયબ મુખ્યમંત્રીશ્રી

-: શ્રી વિજયભાઈ રૂપાણી :-

• સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે

• પોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે

• ગુજરાતનો કિસાન ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી સૌર ઊર્જા-વીજળી સરકારને વેચી આર્થિક સમૃધ્ધિ મેળવશે

• સોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશે

• કેન્દ્ર-રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી

• રાજ્યના ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે

• સૌર ઊર્જા થકી ખેતરમાં દિવસે વીજળી-પાણી મળશે

-: ઊર્જા મંત્રીશ્રી :-

• રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે

• રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ

• રાજ્ય સરકાર ૨૫ વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે

• સાત વર્ષ માટે રૂા. ૭ પ્રતિ યુનિટના ભાવે અને બાકીના ૧૮ વર્ષ માટે રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે

• સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી જશે.

solar shakti kishan yojana

●●●●●●●●●●●●●●●●●●●●●

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જીને ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારે ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડ્યો છે. હવે, સૂર્ય શક્તિનો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને આ ધરતી પુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ઊર્જા રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ સ્કાય યોજનાની ઉપયોગીતા અને વિશેષતાઓની વિસ્તૃત જાણકારી ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કિસાન હિતલક્ષી સંવેદનાની પરિપાટીએ રાજ્ય સરકારે જાહેર કરેલી SKY -સ્કાય યોજના વર્ષ ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે.

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌરશકિત-સૂર્યશકિતનું મહત્તમ ઉત્પાદન વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન થયુ છે.

આ સૌર ઊર્જાથી હવે રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી સૌરભભાઇ પટેલે આ સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના એ રાજ્યના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે.

ખેડૂત અને રાજ્ય સરકાર બેય માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવીને જે સૌરઊર્જા ઉત્પન્ન કરશે તેની પોતાના કૃષિ વિષયક વપરાશની વીજળી બાદ વધેલી વીજળી રાજ્યની વીજ કંપનીઓને વેચાણથી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થશે.

ધરતી પુત્રો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે તેમ પણ શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.

સમગ્ર દેશમાં આ અભિનવ યોજના અમલમાં મૂકવાનું ગૌરવ ગુજરાતને મળશે તેમ જણાવતાં ઊર્જા મંત્રીએ કહ્યું કે, આ સૌર ઊર્જાથી ખેડૂતના ખેતરમાં દિવસે પાણી મળતું થશે તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા કમાણી પણ થશે.

ઊર્જા મંત્રીશ્રીએ સૂર્યશકિત કિસાન યોજના SKYની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.

કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના બની રહેશે કેમ કે ખેડૂતના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે તેની માલિકી ખેડૂતોની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.તેમણે સૂર્યશકિત કિસાન યોજનાની વિગતવાર રૂપરેખા આપતાં કહ્યું કે,

◆ કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે.

◆ ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે

◆ સ્કાય ફીડર પર અગાઉ કોઇપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને આ યોજનામાં જોડાવા ઇચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે.

◆ ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે

◆ ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે

◆ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.

◆ ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.

◆ લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.

◆ એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)

◆ પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે

◆ જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે.

◆ વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.

●● સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.

● સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.

● વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે.

• જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે.

• અને બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.

● આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.

● ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.

●● આ મહત્વપૂર્ણ યોજનાથી રાજ્યના કિસાનોને જે લાભ થવાના છે તેમાં

◆ વીજ બિલમાં રાહત મળશે

◆ ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળશે

◆ દિવસ દરમ્યાન ૧ર કલાક વીજ પુરવઠો મળી રહેશે

◆ લોન ભરપાઇ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે

◆ સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે

◆ સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે

◆ સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે. પેનલની ઊંચાઇ વધારવી હોય તો પણ વધારી શકાશે.

ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૧૩૭ ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ જે ૧૩૭ ફીડર દ્વારા ૧ર૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટ અંદાજે રૂા. ૮૭૦ કરોડના ખર્ચે કાર્યાન્વિત થશે. તેમાં આ સૂર્યશકિત કિસાન યોજનાથી જે સૌર ઊર્જા ઉત્પન્ન થશે તે રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક વિશેષ પહેલ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

હવે, સૌર ઊર્જા શકિતનો ખેતીવાડી વીજ ઉત્પાદન માટે વિનિયોગ રાજ્યનો ખેડૂત પોતાના જ ખેતરમાં વીજ ઉત્પન્ન કરીને કરી શકે તેવી આ સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના ખેડૂતોના વ્યાપક હિતમાં ખુશાલી લાવનારી અને કૃષિ વિકાસમાં નવીન ઊંચાઇઓ સર કરનારી બની રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.

Scroll to Top